પુત્ર પિતા પાસેથી શું શું શીખે છે ?
પિતા પુત્રનો સંબંધ ખૂબ પવિત્ર છે. પિતાને પુત્રના મનોવિકારોની સારી જાણકારી હોય છે. પુત્ર સાથે તેનો ત્રણ પ્રકારનો સંબંધ હોય છે. (1). માર્ગદર્શકનો, (2). તત્વચિંતકનો અને (3). મિત્રનો.
પિતાના સંરક્ષણમાં રહીને પુત્ર નિરંતર કંઈને કંઈ શીખતો રહે છે. જીવનમાં આવનારાં પ્રલોભનો, મુશ્કેલીઓ અને અન્ય જાણકારીનો પરિચય પિતાએ ખૂબ સાવધાની પૂર્વક કરાવી દેવો જોઈએ. મોટો થતાં પુત્ર સાથે મિત્ર જેવો જ વ્યવહાર કરવો જોઈએ. પિતા-પુત્રના સારા સંબંધોનો ઉપાય એ જ છે કે જેમ જેમ પુત્ર મોટો થતો જાય તેમ તેમ પિતા તેની ઉપરનું અનુશાસન ઓછું કરતો જાય. મિત્ર બનાવવાનો ઉપક્રમ કરે, મહત્વપૂર્ણ વાતોમાં એની સલાહ લે, એની સલાહ લઈને ખર્ચ કરે અને એની ઉપર એવી અસર પેદા કરી દે કે એ તેનો પૂર્ણ વિશ્વાસ કરે. પિતા પુત્રના સ્નેહમાં જોકે મૃદુલતા ઓછી, પરંતુ વિશ્વાસની માત્રા વધારે રહે છે. આવેગ ઓછો પણ વિવેકબુદ્ધિ, નિયંત્રણ, તર્ક અને વિચારશીલતા અધિક રહે છે. અવલંબનનો ભાવ ઓછો, પણ સમતાની બુદ્ધિ વિશેષ રહે છે.
બુદ્ધિશાળી અને સુશીલ પિતા પાસેથી આપણે જેટલું શીખી શકીએ છીએ એટલું સેંકડો શિક્ષકો પાસેથી શીખી શકતા નથી. પિતા સૌથી મોટો હિતેચ્છું શિક્ષક છે, જેનું શિક્ષણ આપણે કેવળ મુખથી જ નહીં, પરંતુ તેના ક્રિયાકલાપ, આચારવિચાર, વ્યવહાર, ચરિત્ર, નૈતિકતા આ બધા દ્વારા ગ્રહણ કરીએ છીએ. તેના ધૈર્ય, આત્મનિગ્રહ, કોમળ સ્વભાવ, સંવેદનાની તીવ્રતા, શિષ્ટતા, પવિત્રતા અને ધર્મપરાયણતા વગેરે ગુણોથી પુત્ર પર સ્થાયી પ્રભાવ પડે છે.

pragnaju
17/04/09 at 9:20 am
આપણે આપણા દેશની સાર્વત્રિક પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈશે, વિદેશોનું આંધળું અનુકરણ નહિ. આ સંદર્ભમાં ઉપનિષદકાલીન ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ ભારતીય ઉપખંડને માટે આજે પણ એટલી જ ઉત્તમ અને આવશ્યક શીખ છે.